મહુધા તાલુકાના વડથલ ગામની સીમમાં રાત્રિના સમયે ઠંડીમાં ઠુંઠવાતી હાલતમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી બાળકી હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તંદુરસ્ત હાલતમાં
મહુધા તાલુકાના વડથલ ગામની સીમમાં આવેલ પીરભડીયાદના પાટીયા નજીક ગત મોડી રાત્રીના સમયે તાજી જન્મેલી એક નવજાત બાળકી મળી આવી હતી. ઠંડીમાં ઠુંઠવાઈ રહેલી આ બાળકીને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે મહુધા સરકારી દવાખાનામાં મોકલી આપી હતી. હાલ આ બાળકી નડિયાદની સિવિલ હોસ્પિટલમાં તંદુરસ્ત હાલતમાં હોવાનું જાણવા મળેલ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના વડથલ ગામની સીમમાં આવેલ પીરભડીયાદના પાટીયા નજીક ગત મોડી રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં રોડની બાજુમાં એક તાજી જન્મેલી નવજાત બાળકી રડવાનો અવાજ આવતો હતો. તે વખતે આ માર્ગ પરથી પસાર થનાર એક ઈસમની નજર નવજાત બાળકી પર પડી હતી. જેથી તેઓએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
૧૦૮ એમ્બ્યુલન્સના ચાલક નટવરસિંહ ઉદેસિંહ સોઢા અને એ.એમ.ટી પરેશભાઈ સોઢા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. અને બાળકીને કાપડમાં વિંટાળી સૌપ્રથમ મહુધા સરકારી દવાખાનામાં અને ત્યારબાદ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. તાજી જન્મેલી બાળકી હોઈ તેને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવું અનિવાર્ય હોઈ તેને હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવી છે. જ્યાં આ બાળકી હાલ તંદુરસ્ત અને હેલ્ધી હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે ૧૦૮ એમ્બ્યુલન્સના ચાલક નટવરસિંહ ઉદેસિંહ સોઢાની ફરિયાદને આધારે મહુધા પોલીસે તાજી જન્મેલી નવજાત બાળકીને ત્યજી દેનાર અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Post a Comment