નિર્ભયાના દોષિતોને 3 જી માર્ચે થશે ફાંસી, નવું ડેથ વોરંટ જાહેર
દિલ્લી: પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. હવે નવા ડેથ વોરન્ટ પ્રમાણે દોષિતોને 3 માર્ચે સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે.
પીડિતાના માતા-પિતાએ દિલ્હી સરકારને નવું ડેથ વોરન્ટ જાહેર કરવાની અરજી દાખલ કરી હતી. આજે દોષી પવન ગુપ્તાના નવા વકીલ કોર્ટમાં તેનો પક્ષ રજૂ કરશે. 15 ફેબ્રુઆરીએ દોષિતોને અલગ-અલગ ફાંસી આપવા સંબંધી કેન્દ્રની અરજી વિશે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કેન્દ્રની અરજી પેન્ડિંગ હોય તો પણ ટ્રાયલ કોર્ટ દ્વારા ફાંસીનું નવું ડેથ વોરન્ટ જાહેર કરી શકાય છે.
14 ફેબ્રુઆરીએ દોષી પવને કોર્ટને કહ્યું હતું કે, તેણે તેના જૂના વકીલને હટાવી દીધા છે અને નવા વકીલ માટે સમયની જરૂર છે. ત્યારપછી કોર્ટે તેના અધિકારની વાત કરીને તેને નવા વકીલની નિમણૂક કરી આપી હતી. આ કેસની સુનાવણી દરમિયાન નિર્ભયાની માતાએ કોર્ટને કહ્યું હતું કે, ઘટનાને 7 વર્ષ થઈ ગયા છે. હું પણ માણસ છું, મારા અધિકારોનું શું થશે? હું તમારા આગળ હાથ જોડુ છું, કૃપા કરીને ડેથ વોરન્ટ જાહર કરો. આટલું કહ્યા પછી નિર્ભયાની માતા આશા દેવી કોર્ટમાં રડી પડ્યા હતા.

Comments
Post a Comment