પીરાણા રોડ પર આવેલી નંદન ડેનિમ માં ભીષણ આગ લાગતા 5 લોકોના મોત, આગ પર કાબુ મેળવાયો




અમદાવાદ: પીરાણા પીપળજ રોડ પર આવેલી ચિરિપાલ ગ્રૂપની ડેનિમ બનાવવાની ફેક્ટરી નંદન ડેનિમમાં શનિવારે સાંજે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના 50થી વધુ જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. શરૂઆતના તબક્કે આગ લાગતાં જ ફેક્ટરીમાં કામ કરતા મજૂરો બહાર આવી ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે મોડી રાતે આગ પર કાબૂ મેળવાયા બાદ એક ગોડાઉનમાંથી પાંચ મજૂરની ભૂંજાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. બીજી તરફ હજુ વધુ લોકો અંદર બળીને ખાખ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે,  જેના પગલે મૃત્યુ આંક વધવાની સંભાવના છે. આ ઘટનાને પગલે ફેક્ટરીમાં ઈમરજન્સી એક્ઝિટ કે ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાનો પણ પર્દાફાશ થયો હતો. 
6 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો
પીરાણા પીપળજ રોડ પર નંદન ડેનિમમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હોવાનો મેસેજ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે ડેનિમ સળગતાં આગ વધુ પ્રસરી હતી. ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. બપોરે 4.30 વાગ્યાની આસપાસ લાગેલી આગને કાબૂમાં લેવામાં ફાયરબ્રિગેડના 50થી વધુ જવાનો અને સંખ્યાબંધ વાહનો જોડી 6 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ બુઝાઈ ગયા બાદ ફાયરના જવાનોએ એક ગોડાઉનનો દરવાજો ખોલતાં તેમાંથી પાંચ મજૂરની લાશ મળી હતી.  મૃતકોમાં રોનકબેન રાવત, સુમિત્રાબેન પટેલ, કુંજનભાઈ તિવારી, ભાઈલાલ ભરવાડનો સમાવેશ થાય છે. હજુ અન્ય મજૂરો પણ અંદર બળી ગયા હોવાની આશંકા સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. 
આગના કારણ અંગે ઘૂંટાતું રહસ્ય
ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, આગ લાગવાનું કારણ હાલમાં જાણી શકાયું નથી. બીજી તરફ ડેનિમ ફેક્ટરીમાં ક્યા કારણોસર આગ લાગી તે અંગે સ્થળ પર ઉપસ્થિત ફેક્ટરીના સંચાલકો પાસેથી પણ કોઈ જવાબ જાણવા મળ્યો ન હતો. શોર્ટસર્કિટ કે અન્ય કારણોસર આગ લાગી છે કે કેમ તે દિશામાં ફાયર વિભાગના જવાનો તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન વટવા અને નારોલ પોલીસ સ્ટેશનનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો.
ગોડાઉનનો દરવાજો ખોલતાં 5 મૃતદેહ મળી આવ્યા
નંદન ડેનિમ ફેક્ટરીમાં આગ લાગી ત્યારે સંચાલકોએ મીડિયાને અંદર પ્રવેશવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આગ લાગી તેની જાણકારી મળી ત્યારે તમામ મજૂરો બહાર આવી ગયા હોવાની વાત તેઓ કરી રહ્યા હતા, જેને લઈને ફાયરબ્રિગેડે પણ આ જ વાતને પકડી રાખી હતી. જોકે આગ બુઝાઈ ગયા બાદ ફાયર જવાનોએ અંદરના ભાગમાં જઈને તપાસ કરતા એક ગોડાઉનનો દરવાજો ખોલતા અંદર પાંચ મજૂર આગમાં ભૂંજાયેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે મૃત્યુઆંક વધુ હોવાની આશંકાના આધારે ફાયરના જવાનોએ વધુ તપાસ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર